12/05/2024
વેજ, નોન-વેજ, અને વીગન શું છે?? શું ખરેખર નોન-વેજ એને જ કહેશું કે જે જીવંત પ્રાણી ની હત્યા કરીને મેળવવામાં આવે છે? શું ખરેખર વેજ અને નોન-વેજ ને જીવંત કે મૃત સાથે કઈ લેવા દેવા છે?😊
કેવો આહાર લેવો જોઈએ, અને કયો આહાર કયા પ્રકાર ની શ્રેણી માં આવે છે. એના વિશે આજે વિગતવાર વાત કરીએ…..
વાત કરીએ પ્રાચીન કાળ કે માનવ સભ્યતા ના શરુઆત ના તબક્કાની તો, ત્યારે ફક્ત એક જ પ્રકાર નો આહાર મોટા ભાગે લેવામાં આવતો હતો. જેને આપણે સારી રીતે જાણીએ છીએ, કે ત્યારે બધા લોકો પ્રાણીઓ ના શિકાર કરીને પોતાનું પેટ ભરતા હતા. એટલે જયારે બધા જ લોકો એક સરખી રીતે જીવન નિર્વાહ કરતા હોય ત્યાં કોઈ પ્રશ્ન ઉદ્ભવવાનો નથી. પણ આજે એવું નથી, આજે વિવિધ પ્રકાર ના ભોજન ઉપલબ્ધ છે. જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે…. (a) વેજ, (b) નોન-વેજ, અને (c) વીગન…
સામાન્ય વ્યાખ્યા કરીએ તો આ પ્રમાણે થશે,
(a) વેજ :- વનસ્પતિ માંથી જે મેળવવામાં આવે અને પ્રાણી-પશુ પંખી ને જીવંત રાખીને એમાંથી કંઈપણ મેળવવામાં આવે એ વેજ.
(b) નોન-વેજ :- પ્રાણી-પશુ, કે પંખી ની હત્યા કરીને કંઈપણ મેળવવામાં આવે એ નોન-વેજ.
(c) વીગન :- ફક્ત ને ફક્ત વનસ્પતિ માંથી જ મેળવવામાં આવે એ વીગન.
હવે મુખ્ય વાત કરીએ તો મોટા ભાગ ના લોકો નો ખ્યાલ એવો છે, કે પોતે 100% વેજ ખાય છે અને કોઈપણ પ્રકાર હત્યા કરીને ખાતા નથી. પણ આ એક મોટો ભ્રમ છે, વહેમ છે. મારા અમુક સવાલ છે જેના જવાબ થી આપ સમજી શકશો….
(1) શું દૂધ કોઈ વનસ્પતિ માંથી મેળવવામાં આવે છે? કે પછી એ એક જીવંત પ્રાણી ના હાડકા અને માંસ ,લોહી-રુધિર નો નીતરાવ છે.
(2) શું આપ વેજ કે વીગન ખાવા માટે ખરેખર કોઈ હત્યા નથી કરતા? આપ નો જવાબ હશે નાં… નાં …
તો અહીંયા મારો એક સવાલ છે, શું વનસ્પતિ, ફૂલ, જડ, પત્ત્તા નિર્જીવ છે? જો આપના વિચાર પ્રમાણે વનસ્પતિ નિર્જીવ છે, તો પછી અહીંયા 2 વસ્તુ ખોટી પડે છે. 1) ડૉ. જગદીશચંદ્ર બોઝ- જેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરેલ છે વનસ્પતિ માં જીવ છે. 2) હિન્દુ ધર્મ ના પ્રાચીન ગ્રંથો માં પણ ઉલ્લેખ છે કે વનસ્પતિ જીવંત છે. અને એની પૂજા કરવા માટે વિધિ પણ આપેલ છે.
અહીંયા સ્પષ્ટ દેખાય આવે છે , કે તારણ કાઢી શકાય છે કે કોઈપણ વસ્તુ મેળવવા માટે કોઈપણ જીવંત વસ્તુ ની હત્યા ના કરવામાં આવે તો એને આપણે એક નવા પ્રકાર કે નામ થી ઓળખી શકાય. અહીંયા નવા પ્રકાર નુ નામ તમારે આપવાનું છે. કારણ કે જીવંત ને મૃત ને આધારે જે વેજ કે નોન-વેજ આપણે સમજતા આવેલ છીએ એનું તો અહીંયા ખંડન થાય છે. તો અહીંયા વેજ કે નોન-વેજ ને કોઈપણ રીતે જીવંત કે મૃત સાથે સંબંધ નથી. અહીંયા વેજ કે નોન-વેજ બંને મેળવાના માટે હત્યા જ થાય છે.
વેજ માટે - તમામ શાકભાજી, કંદમૂળ,વગેરે…. નોન-વેજ માટે:- પ્રાણી, પશુ-પંખી વગેરે…..
જો આપ જીવંત અને હત્યા ના આધારે ખોરાક નું વિચારતા હોય તો એની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી શકાય…..
કોઈપણ સજીવ ની હત્યા કર્યા વગર એના માંથી કંઈપણ મેળવવામાં આવે તો એને આપણે વેજ કહી શકશું.
દા.ત. , દૂધ, ઈંડા, ફળ, ફૂલ, પત્તા,….
અહીંયા તમારા મન માં સવાલ થશે કે આમાં ઈંડા કઈ રીતે આવે? તમે કહેશો કે ઇંડા માં તો જીવ છે, એનો વિકાસ થવા દઈએ તો એક જીવંત પ્રાણી બને એમાંથી. તો આને કઈ રીતે ખાય શકાય? આને ખાયે તો હત્યા થઇ કહેવાય અને નોન-વેજ ખાધું કહેવાય. ,
તો અહીંયા જવાબ એનો આ છે.,
ઇંડુ એ મરઘી આપેલ બીજ છે. અને આ ઈંડા ને વિકાસ થવા દઈએ તો એમાંથી એક જીવંત પ્રાણી બનશે. એવી જ રીતે તમામ વનસ્પતિ પણ પોતાના બીજ આપે છે અને જો એનો પણ વિકાસ થવા દઈએ તો એમાંથી એક જીવંત વનસ્પતિ બનશે. ,ઘઉં, બાજરી, જુવાર, પરાગરજ થી ભરેલ ફૂલ, વગેરે. આ પણ પેલી મરઘી ના ઈંડા ની જેમ જ છે. તો આપણે એને આરામ થી ખાઈ જઈએ છીએ…..
મારા આ સમગ્ર લેખ નો સાર એટલો જ છે. ,” માણસ ને ભાવે, જે ગમે, અને જે પોતાના શરીર ને નુકશાન ના કરે એ ખોરાક લેવો જોઈએ, અહીંયા કંઈપણ રીતે કોઈ હત્યા કે પાપ નથી. “
12/02/2024
નફરત/ ધૃણાને પ્રોત્સાહન મળે ત્યાં વિકાસ થાય કે વિનાશ?
આપણે સમાજમાં ભાઈચારો ન રહે તે માટે નફરત/ ધૃણાનો વિકાસ કર્યો છે ! શાળાઓમાં જે શીખવાડવામાં આવે છે તેનાથી ઉલટું સમાજમાં જોવા મળે છે.
અમદાવાદ સ્થિત MCC-Minority Coordination Committee એ ઓક્ટોબર 2023 માં એક અહેવાલ પ્રસિદ્ધ કરેલ છે. તેમાં વર્ષ 2022માં ગુજરાતમાં લઘુમતીઓ પર હુમલાઓની કુલ 55 ઘટનાઓ બની હતી તેની વિગત છે, જેમાં 53 ઘટનાઓ મુસ્લિમો પર હુમલાઓની છે અને 2 ઘટનાઓ ખ્રિસ્તીઓ પર હુમલાની છે. લઘુમતી વસ્તીને કેવી રીતે targete કરવામાં આવે છે અને તેને સમાજના હાંસિયામાં ધકેલવામાં આવે છે, તે સત્યને ઉજાગર કરવા કમિટીએ અભ્યાસ હાથ ધર્યો હતો.
30 ડિસેમ્બર, 2022ના રોજ જૂનાગઢમાં જિલ્લાના ભાજપના નેતા રમણ વોરાએ મુસ્લિમ સમુદાયને ધમકી આપી હતી કે “જો મુસ્લિમો ભાજપને મત નહીં આપે, તો તેમના પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખવામાં આવશે અને તેમના વિસ્તારોમાં ડિમોલિશન કરવામાં આવશે !”
16 એપ્રિલ 2022ના રોજ, વડોદરાના પાવીજેતપુરમાં જમીન પર અતિક્રમણ કરી રહેલા લોકોને રોકવાનો પ્રયાસ કરતી વખતે મુસ્લિમ જમીનમાલિકને ધમકી આપવામાં આવી હતી કે “ગોધરાની ઘટના વખતે તું બચી ગયો હતો, પરંતુ હવે તને છોડવામાં આવશે નહીં !”
21 ડીસેમ્બર 2022ના રોજ, વડોદરાના મકરપુરામાં ખ્રિસ્તી સમુદાયના એક ઘર પર હુમલો કર્યો અને સાન્તાક્લોઝનો પોશાક પહેરેલા એક વ્યક્તિની હત્યા કરી હતી !
MCC ના કન્વીનરે ‘ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારને કહ્યું હતું કે, "ગુજરાત, લઘુમતીઓ સામે લક્ષિત હિંસાનું કેન્દ્ર રહ્યું છે. હિંસાનું સ્વરૂપ હવે બદલાઈ ગયું છે. અગાઉ, મોટા શહેરોમાં હિંસા થતી હતી, પરંતુ હવે તે ગામડાઓમાં પહોંચી ગઈ છે. ખાસ કરીને, ધાર્મિક તહેવારો, જે સામાજિક સૌહાર્દના પ્રસંગો છે, તેનો ઉપયોગ સાંપ્રદાયિક સંગઠનો દ્વારા લઘુમતીઓ સામે હિંસા માટેની તકો તરીકે કરવામાં આવે છે.”
જે મુસ્લિમો અસામાજિક તત્વો છે, આતંકવાદી પ્રવૃતિઓ સાથે છે, તેને જેલમાં પૂરો, કડક સજા કરો જ. પરંતુ આખા સમુદાય પ્રત્યે નફરત/ધૃણા ફેલાવવાથી સમાજમાંથી સદ્દભાવના નાશ નહીં પામે? કોઈ પણ દેશ પર નજર કરો જ્યાં નફરત/ ધૃણાને સત્તાધારી પક્ષ પ્રોત્સાહન આપતો હોય ત્યાં વિકાસ જોવા મળે છે કે વિનાશ? અરે, કોઈ કુટુંબ પર નજર કરો, જ્યાં નફરત/ ધૃણા હોય, તે કુટુંબનો વિકાસ થાય છે કે વિનિપાત? દુ:ખની બાબત એ છે કે નફરત/ ધૃણા સામે અવાજ ઊઠાવનારને ગાળો મળે છે- “દંભી સેક્યુલરિયા/ સિન્થેટિક સેક્યુલર/ લબાડલુચ્ચા લેફ્ટ/ લિબરલ સ્યુડો સેક્યુલરિયા/ સડેલ સેક્યુલરિયા/ વાયડા વામપંથી/ ઘોઘરબિલાડા બૌદ્ધિક/ અવતારી દ્રોહી/ દેશદ્રોહી !” આવી ગાળો આપનારા મુખત્વે બિનશૂદ્રો હોય છે !
સૌથી મોટો સવાલ એ છે કે નફરત/ ઘૃણાથી ફાયદો કોને? ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2002માં જે હિંસા થઈ, તેમાં જે દોષિતો જેલમાં છે તે મુખત્વે કોણ છે? શૂદ્ર સમુદાયના છે ! જ્યારે સત્તાની મલાઈ કોણે મેળવી? બિન શૂદ્રોએ ! નફરત/ધૃણા ફેલાવનાર નેતા Z+ સીક્યુરિટીમાં/ SGP સીક્યુરિટીમાં રહે છે અને શૂદ્રોને ઉશ્કેરીને જેલમાં મોકલે છે અથવા બેરોજગારીના ચક્કરમાં સંડોવી દે છે ! ધાર્મિક સરઘસોમાં, મસ્જિદો પાસે સૂત્રો પોકારનારા કોણ છે? શૂદ્રો ! અને બિનશૂદ્ર નેતાઓના સંતાનો વિદેશોની સેક્યુલર કોલેજોમાં શિક્ષણ મેળવે છે ! સમજાય છે?rs
12/02/2024
દલિતો પર હુમલો કરી પોતાનું મિથ્યાભિમાન સંતોષે છે !
22 જાન્યુઆરી 2024નાનરોજ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસે ગુજરાત ભક્તિના હિળોલે ચડ્યું હતું ! એવું લાગતું હતું લોકો હવે મર્યાદા જાળવશે, માણસાઈ દાખવશે ! પરંતુ તેને સાત દિવસ પૂરા નથી થયા ત્યાં 28 જાન્યુઆરી 2024ના રોજ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ધનપુરા ગામે અનુસૂચિત જાતિના યુવાન રાહુલ બળદેવભાઈના લગ્ન પ્રસંગે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે ગામના સામંતવાદી તત્વોએ વરઘોડો રોક્યો ! એટલું જ નહીં, મહિલાઓ, બાળકો અને પુરુષો ઉપર હુમલો કરી ઈજાઓ કરી !
જે લોકો કહે છે કે ગુજરાતના ગામડાઓમાં હવે અસ્પૃશ્યતા રહી નથી, તેમના માટે આ ઘટના તમાચા સમાન છે !
પ્રશ્ન એ છે કે દલિતો લગ્ન પ્રસંગે ઘોડી પર બેસે તો ક્યા કાયદા-નિયમો હેઠળ/ ક્યાં ધર્મગ્રંથ હેઠળ ગુનો બને છે? જો સરકાર સમાનતાના મૂલ્યમાં માનતી હોય તો આવી ઘટના બને ખરી? દલિતની ઘોડી/ દલિતના પૈસા/ દલિતોનો પ્રસંગ તેમાં બીજાને ડખલ કરવાનો હક્ક છે ખરો?
આવી ઘટનાઓ બને છે તેનું કારણ શું હશે? મનુસ્મૃતિ મુજબ અમુક વર્ણ ઊંચા અને અમુક વર્ણ નીચા એ ભાવના હશે? જો એવું હોય તો વરઘોડાનો વિરોધ કરવામાં ઠાકોર સમાજ પણ હતો, ઠાકોર સમાજ તો OBCમાં આવે છે, તેઓ કેમ વિરોધ કરતાં હશે? વિરોધનું મૂળ કારણ તો દલિતોની પ્રગતિ છે ! આ પ્રગતિ જેમને સહન થતી નથી તેઓ દલિતોને ઘોડી પર જોઈ શકતા નથી/ દલિતોને કારમાં ફરતા જોઈ શકતા નથી/ દલિતો સારા કપડાં પહેરે તે જોઈ શકતા નથી/ દલિતો સારી નોકરી કરે તે જોઈ શકતા નથી ! ઉપરાંત દલિતોની ઈર્ષા કરનારાઓ બેરોજગાર રહે છે તે પણ બળતરાનું મુખ્ય કારણ છે ! ગોડસેવાદી/સામંતવાદી સરકાર રોજગાર આપી શકે તેમ નથી, મોંઘવારી ઘટાડી શકે તેમ નથી, એટલે બરાબર દાઝેલા તત્વો પોતાનો રોષ દલિતો પર કાઢી પોતાનું મિથ્યાભિમાન સંતોષે છે !rs
12/02/2024
‘સમઝૌતે કી ભીખ મૈં લૂંગા નહીં !’
31 જાન્યુઆરી 2024ના રોજ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ EDએ કરી છે. એ સાથે આખી સરકાર પણ ઘરભેગી થઈ ગઈ છે.
ઝારખંડમાં હજુ પણ હેમંત સોરેનના પક્ષ પાસે સહયોગી પક્ષો સાથે બહુમતી છે, પરંતુ રાજ્યપાલ ‘ઠાગા ઠૈયા કરું છું, ચાચૂડી ઘડાવું છું’ એ નીતિ મુજબ સરકાર રચવાનું આમંત્રણ આપતા નથી ! સ્પષ્ટ છે કે વડાપ્રધાનને ઝારખંડમાં વિપક્ષી સરકાર ખૂંચે છે ! એક આદિવાસી ગોડસેવાદીઓને/ સામંતવાદીઓને પડકાર ફેંકે તે સહન થઈ શકે નહીં ! કદાચ ધારાસભ્યોને ખરીદવાની તક આપવાનો ગવર્નરનો હેતુ હોય !
માની લઈએ કે હેમંત સોરેને ભ્રષ્ટાચાર કર્યો હશે, તો પણ નવી સરકારની રચનામાં ઝારખંડના ગવર્નર જે ભૂમિકા ભજવે છે તે ઉચિત કહી શકાય નહીં !
ED, CBI, IT વગેરે સરકારી એજન્સીઓ નથી રહી, વડાપ્રધાનનો ‘વિપક્ષ નાબૂદી સેલ’ બની ગઈ છે ! વડાપ્રધાનને કેસ સાબિત થાય કે ન થાય તેમાં રસ નથી, કોઈ પણ ભોગે વિપક્ષની સરકાર પાડવામાં રુચિ છે ! હેમંત સોરેનના પિતા શિબૂ સોરેનને દિલ્હીની કોર્ટે આજીવન કેદની સજા કરેલ. 2007માં દિલ્હી હાઈકોર્ટે તેમને નિર્દોષ ઠરાવેલ અને પુરાવાના અભાવ બાબતે CBIના કાન આમળ્યાં હતા ! 2018માં સુપ્રિમકોર્ટે દિલ્હી હાઈકોર્ટનો ચૂદાદો યથાવત રાખ્યો હતો.
હેમંત સોરેને 31 જાન્યુઆરી 2024ના રોજ બપોરના 12.38 કલાકે ‘X’ પર ટ્વિટ કરીને તાનાશાહી સામે નહીં ઝૂકવાનો નિર્ધાર જાહેર કર્યો હતો :
“यह एक विराम है
जीवन महासंग्राम है
हर पल लड़ा हूं, हर पल लड़ूंगा
पर समझौते की भीख मैं लूंगा नहीं !
क्या हार में, क्या जीत में
किंचित नहीं भयभीत मैं !
लघुता न अब मेरी छुओ
तुम हो महान, बने रहो.
अपने लोगों के हृदय की वेदना
मैं व्यर्थ त्यागूंगा नहीं
हार मानूंगा नहीं...”
હેમંત સોરેન ધન્યવાદને પાત્ર છે. તેમણે જેલ જવાનું પસંદ કર્યુ પણ આસામના હિમંતા બિલ્વ શર્મા કે મહારાષ્ટ્રના અજિત પવાર બનવાનો ઇન્કાર કર્યો ! rs